
નર્કારોહણ-૪
આજે ચોથો દિવસ હતો. હું અને રશ્મીભાઈ નર્કમાં ફરતા હતા. ત્યાં સુંદર વાટિકામાં એક દેખીતો મહાબળવાન પ્રભાવશાળી પુરુષ દેખાયો. રશ્મીભાઈ કહે જુઓ આ તો ઇન્દ્ર દેવાધિદેવ છે. મહાપ્રતાપી અને શરીર સૌષ્ઠવ પણ સમૃદ્ધ. અમે તો પહોચી ગયા. વંદન કરવા એ ભારતીય પ્રણાલી છે. હા અમે કોઈ ને ઝુકી ને ચરણ સ્પર્શ કદી કરતા નથી, પછી તે ગમે તે હોય. એ નિયમ અહી પણ જાળવી રાખ્યો છે. અમે કહ્યું,
‘જય હો દેવાધિદેવ, ભગવાન આપને સીધો જ સવાલ કરી લઈએ, આપનું પ્રિય ભોજન શું હશે?’
‘વત્સ, ઋગ્વેદમાં અમારા ભોજન વિષે જણાવેલું જ છે. અમને પ્રોટીન થી ભરપુર સમૃદ્ધ આહાર જોઈએ, અમારે કાયમ યુદ્ધોમાં જવાનું રહેતું.’
‘પ્રભુ, તો પણ થોડી માહિતી આપો તો સારું. અમને ખબર છે, આપ સદાય યુદ્ધોમાં રત રહેતા હતા.’
‘વત્સ, અશ્વ, ભેંસો, આખલા વિગેરે અમારું પ્રિય ભોજન હતા. જો અમે દાળભાત ખાઈએ તો દુબળા રહી ને બળવાન રાક્ષસો ને હણી નાં શકીએ. અમારી એક થપાટે તો આખલાને પણ ભોમ ભેગો કરી દઈએ.’
‘સાચી વાત છે પ્રભો, પણ આપનું ઇન્દ્રાસન કાયમ ડોલી ઉઠતું અહી પૃથ્વુંલોકમાં કોઈ માળાઓ કરવા બેસી જતું ત્યારે, એ વાત સમજાતી નથી, અને આપ એને અપ્સરાઓ મોકલી રોકી દેતા.’
‘અરે વત્સ, કોઈ હાડપિંજર ત્યાં માળા કરવા બેસી જાય એમાં અમને શું ફરક પડે? એના ઘરની ખુરશી ઉચકવાની ત્રેવડ ના હોય તે મારા ઇન્દ્રાસન ને કઈ રીતે ડોલાવી શકવાનો હતો?’
‘તો પછી પ્રભુ લોકો આવા ડીંગ કેમ મારતા હશે?’
‘વત્સ, એમાં એવું છે ને કે અજ્ઞાની પ્રજાને સમજાવે કે મારા તપ થી ઇન્દ્ર ગભરાઈ ગયો છે, એનું આસન ડોલવા લાગ્યું છે, આવું કહે એટલે લોકો એનાથી ડરે કે આતો મહાન તપસ્વી છે.’
‘અને પ્રભો, આપને ત્યાં થી અપ્સરાઓ મોકલો એમનું તપોભંગ કરવા, એ સાચું?’
‘વત્સ, મારે શું ગરજ હોય? અરે આતો એનો પોતાનો વણ સંતોષયેલો કામરસ એના ગુપ્ત ચિત્ત(સબ કોન્સીયાશ) માં રમતો હોય તે ધોળે દિવસે અપ્સરાઓ દેખાય, ઇલ્યુઝન જેવું, માનસિક બીમારી.’
‘પ્રભુ, આ આપના ત્યાં અપ્સરાઓની ઉમર ૧૬ વર્ષ થી વધેજ નહિ એવું સાભળ્યું છે.’
‘વત્સ, એ પણ ગુપ્ત ચિત્તની કમાલ છે. આ મૂરખ આળસુઓને પૃથ્વી લોકમાં કોઈ સ્ત્રી મળે નહિ, સ્ત્રી મેળવવા માટે એક જાતની કેપેસીટી જોઈએ જે હોય નહિ. એટલે આ લોકો એવું કહે કે અમે તો તપ કરવાના અને સ્વર્ગ માં સુંદર અતિ સુંદર સ્ત્રીઓ ભોગવવાના.’
‘ભગવાન, પણ ઉંમર ના વધે તેવું કેમ કહેતા હશે?’
‘વત્સ, આ બુઢ્ઢા ખુસટોની માનસિક વિકૃતિનો એક પ્રકાર છે. એમને ટીનેજર દીકરીની ઉંમરની સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છાઓ હોય માટે એટલે આવી કલ્પનાઓમાં રાચતા હોય છે. બાકી કોઈની ઉંમર ના વધે તેવું હોય ખરું? વત્સ સેક્સને દબાવો એટલે આવુજ થાય.’
‘ભગવાન, સાભળ્યું છે કે આપના સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, જે ની ઈચ્છા કરો તે હાજર થઇ જાય.’
‘વત્સ, આ પણ જેને મહેનત કરવી નથી, આલસ્ય શિરોમણી છે જે લોકો તેમને જ આવી બધી કલ્પનાઓ સુજે છે, એક વૃક્ષમાંથી એનાં ફળ સિવાય કશું નાં મળે ખાવા માટે, અને ખાસ ઓક્સીજન મળે. પણ કપડા લત્તા કે બીજી કોઈ વસ્તુઓ ક્યા થઇ ટપકે?’
‘ભગવાન, સાચી વાત છે. ભારતનાં લોકો આલસ્ય શિરોમણી થઇ ચુક્યા છે. આ ભોપાલ કાંડનો ચુકાદો ૨૫ વર્ષે આપ્યો, જે ન્યાયાધીશો બુદ્ધિજીવીઓની પરાકાષ્ઠા સમાન ગણાય તે જ આટલા બધા આલસ્ય શિરોમણી છે.’
‘વત્સ, હવે અફસોસ ના કરો એમજ ચાલવાનું છે તમારે ત્યાં કારણ હજારો વર્ષો થી શિક્ષણ જ એવું મળ્યું છે.’
‘ભગવાન, આ આપ વારે ઘડીએ અસુરોથી હારી જતા એટલે કોઈ ઋષીએ હાડકા આપ્યા ને શસ્ત્ર બનાવ્યું. એના વડે આપ યુદ્ધ જીતી ગયા.’
‘વત્સ, વિચારો જરા કોઈ હાડકામાં શું હોય? કેલ્શિયમ હોય.કોઈ હાડકું ધાતુ જેટલું મજબુત હોઈ શકે ખરું? અને પોતાની જાતને ભૂખે મારતાં લોકોના હાડકા તો કેલ્શિયમ વગરના સાવ જ નબળા હોય. એનાથી કોઈ યુદ્ધ જીતાય ખરું? આતો આ લોકોએ એમનું મહત્વ બતાવવા આવી મનઘડંત વાર્તાઓ બનાવી કાઢી. જેથી સામાન્યજન એમનું માનપાન સાચવે અને ડર્યા કરે. અને વૃદ્ધ લોકોના હાડકા તો સાવ નબળા હોય. આતો તપની બકવાસ વાતોનું મહત્વ બતાવી બતાવીને પ્રજાને ઉદ્યમ વગરની કરી નાખી, આળસુ કરી નાખી. શારીરિક બળની દ્રષ્ટીએ દુનિયાની તમામ જાતિઓમાં એવરેજ ભારતીયો નબળા પડે છે. કોઈ અપવાદ હોઈ શકે. એમાય તમારા ગુજરાતીઓ તો ખાસ.’
‘ભગવાન, એમાં અમારા ધર્મગુરુઓનો ખાસ વાંક છે. ઉચ્ચ આદર્શોની વાતો કરી કરી ને પ્રજાને સાવ નિર્માલ્ય કરી નાખી છે, ઘરમાં આવીને કોઈ મારી જાય છે છતાં ગર્વ અનુભવે કે અમે કોઈ ને મારતાં નથી, અમે તો મહાન છીએ. કોઈ કૃષ્ણ આવશે અને પાપીઓનો નાશ કરશે, ત્યાં સુધી માર ખાયા કરીશું.’
‘વત્સ, અમે તો આખી જીંદગી લડ્યા છીએ, હારી ને ભાગ્યા પણ છીએ, વળી પાછા ઓર મજબુત થઇ ને ફરી લડ્યા છીએ. અરે તમે કાયર બનીને માર ખાયા કરો એમાંથી બચાવવાની જવાબદારી પણ કૃષ્ણ ની? ‘અમે તો યુદ્ધ જીતવા બધુજ કરી છૂટતા. કૂડ, કપટ બધુજ વળી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે. બસ જીતો એજ મહામંત્ર. જીતો તો જીવો અને હારો તો મરો.’
હવે ખાસ કશું પુછવા જેવું લાગ્યું નહિ. અમને મહામંત્ર મળી ચુક્યો હતો. “જીતો તો જીવો અને હારો તો મરો” ..હાડકાની કે લાકડાની તલવાર થી યુદ્ધો નાં જીતાય. પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ છે, એ શીખવા જેવું ભગવાન ઇન્દ્ર પાસે થી હતું. પણ ના શીખ્યા. “ઉદ્યમો ભૈરવ” નું સૂત્ર અમને સુજ્યું છે, નહિ તો કાલ ભૈરવ તમને ભરખી જશે. બીજા કોઈ ને આ સૂત્ર સુજ્યું હોય તો અમને વાંધો નથી. તપના બહાને નિષ્ક્રિય બની ને બેસી રહેશો નહિ, બીજા ને બેસવા દેશો નહિ. જે બેસી રહેતા હોય તેને ટેકો આપશો નહિ, મદદ કરશો નહિ. એમને ટેવ પડી ગઈ છે, કશું કર્યા વગર ખાવાની. તપના બહાને બેસી રહેવાની વૃત્તિના લીધે ભારતે મહાન વૈજ્ઞાનિકો ખોયા છે. વિજ્ઞાન શરુ થયું ભારતમાં, અને ભારત એમાજ પાછળ પડ્યું. એકંદરે વિકાસ તો થતો જ હોય છે, પાછા ફરવા ની કોઈ જોગવાઈ નેચરમાં કુદરતના નિયમમાં છે જ નહિ. પણ જે પથ્થર યુગમાં જીવતા તે આજે ચાંદ ઉપર પહોચી ગયા, અને તેજ સમયે જેમણે વિજ્ઞાનની શરૂઆત કરી હતી તે કેટલા આગળ વધ્યા છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. શાશ્વતની ખોજમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. ભૂતકાળની ગાથાઓમાં વર્તમાનને બગાડી રહ્યા છીએ.
હવે જોઈએ કોણ ઝપટમાં આવે છે? એકાદ વાર ચાન્સ મળે તો થોડું કરપ્શન આપીને સ્વર્ગની મુલાકાત લેવાનું અમે અને રશ્મીભાઈએ વિચાર્યું છે. આમ તો બાજુ માં જ છે. પણ અંદર જવું કાઠું કામ છે. ચોકી પહેરો ખુબ છે. બધે ઓરેન્જ ધારીઓ માળાઓ લઈને ઉભા છે. જોઈએ હવે શું થાય છે?