Daily Archives: March 1, 2010
“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ”

“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ”
અહિંસક તો ભગવાન મહાવીર હતા. ના તો ગાંધીજી અહિંસક હતા ના તો અત્યારના કોઈ જૈન અહિંસક છે. મહાવીર અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હતા. એ પ્રાણી તો ઠીક જીવ જંતુ માત્રમાં પરમાત્માને અનુભવી શકતા હતા. તો પછી હિંસા કોના પ્રત્યે કરી શકાય? જે લોકો દરેક વસ્તુમાં પરમાત્મા ને અનુભવી શકતા નથી એ લોકો જો અહિંસાના વ્રત લે છે, તો એમની અહિંસા દંભી બની જાય છે. ગાંધીજી આવા દંભી અહિંસક હતા. નાની નાની સુક્ષ્મ હિંસા આ લોકો ભૂલી જાય છે. આ લોકો ભૂલી જાય છે કે એક મરઘીમાં જીવ છે તો કોબીજમાં પણ જીવ છે. કોઈ નો જીવ દુભાય તો પણ હિંસા થાય. ગાંધીજી એક રાજકારણી હતા ને સંત બનાવાનો પ્રયત્ન કરતા હતા. ગાંધીજી પણ સંવેદનશીલ વ્યક્તિ હતા. પણ મહાવીર તો સંવેદનશીલતાના એવરેસ્ટ શિખર હતા. એક નાની કીડીમાં પણ પરમાત્માને જોઈ શકતા હતા. એટલે એને ટાળી ને બચાવીને ચાલતા હતા. અત્યારના જૈન સાધુને કીડીમાં પરમાત્મા દેખાતો નથી, પણ મહાવીરના આચારે નકલ કરી કીડીઓને ટાળવાના વ્યર્થ પ્રયત્નો કરતા હોય છે.
મહાવીર ક્ષત્રીય હતા. જૈનોના ચોવીસે તીર્થંકરો ક્ષત્રિયો હતા. એક પણ વૈશ્ય કે બ્રાહ્મણ ના હતો. હિંસા કરવા માટે જેમ વીરતા જોઈએ તેમ અહિંસા પાળવા કે અહિંસક બનવા માટે મહાવીરતા જોઈએ. કાયરો કે ડરપોક લોકો ના તો હિંસા કરી શકે છે ના તો અહિંસક બની શકે છે. માટે વર્ધમાનને મહાવીર કહેવામાં આવે છે. મહાવીરનો ગર્ભ બ્રાહ્મણીના પેટમાં હતો. દેવોએ વિચાર્યું કે બ્રાહ્મણની સ્ત્રીના પેટે અવતરેલો બાળક તીર્થંકર નહિ બની શકે. એટલે ગર્ભને ઉઠાવીને ક્ષત્રીયાણીના પેટામાં મૂકી દીધો. વાર્તા છે. સમજવા માટે છે. સહન શક્તિનો સવાલ છે. અહિંસક બનવા માટે ભયંકર સહનશક્તિ જોઈએ. એ સહન શક્તિ બ્રાહ્મણ કે વૈશ્ય કે વાણીયામાં ના હોય. ચોવીસે તીર્થંકરો જેના ક્ષત્રિયો છે એ ધર્મના લગભગ તમામ અનુયાયીઓ વૈશ્ય છે. કોઈનો માર ખાવામાં પણ શક્તિ ને સહન શક્તિ જોઈએ. એટલે અમારે કોઈનો માર ખાવો નથી માટે અમે કોઈને મારતા નથી, અમે તો અહિંસક છીએ. આ દંભી અહિંસા છે. પેલા ગોવાળની વાર્તા બધાને ખબર છે. મહાવીરના કાનમાં ખીલા ઠોકી દીધા. ક્યાંથી લાવશે આજના જૈનો એવી સહન શક્તિ?
દરેકના સત્યો જુદા જુદા છે. મારું સત્ય તમારા પર થોપવાનો પ્રયત્ન હિંસા છે. સત્યનો આગ્રહ ના હોય. આગ્રહ કરવો પડે એવું સત્ય શું કામનું? એક માણસ એનું સત્ય થોપવા તમને લાફો મારી તમારા પર દબાણ કરે છે. બીજો માણસ એનું સત્ય થોપવા પોતાની જાતને લાફા મારે છે. બંને હિંસાનો આશરો લે છે. એક માણસ એનું સત્ય મનાવવા માટે તમને બાંધીને ખાવા ના આપે ને ટોર્ચર કરે. બીજો એનું સત્ય મનાવવા પોતાની જાતને ખોરાક ના આપી, ઉપવાસ પર ઉતરી તમને દબાણ કરે છે. બંને હિંસક છે. એક પરપીડન વૃત્તિ ધરાવે છે, બીજો સ્વપીડન વૃત્તિ ધરાવે છે. પીડા આપવાની હિંસા બંને કરે છે. ડો આંબેડકર ને કોઈ વાત મનાવવા માટે ગાંધીજી ઉપવાસ પર ઉતરેલા, ત્યારે આંબેડકરે કહેલું ગાંધીજી સારા માણસ છે એમનો જીવ બચાવવા મારી વાત છોડી દઉં છું, બાકી હું મારી વાતે મક્કમ ને સાચો છું.
રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજીના પરમ મિત્ર હતા. ગાંધીજી એકવાર શાંતિ કેતન ગયેલા. નિયત સમયે બંને બહાર ફરવા જતા. ગાંધીજી સાદા માણસ એ તો બહાર જઈને ઉભા રહ્યા. રવીન્દ્રનાથ ને બહુ વાર લાગી. ગાંધીજી પાછા ગયા તો ડોસા રવીન્દ્રનાથ એમના વાળ ઓળવ્યા કરે. ગાંધીજીએ પૂછ્યું કે હવે ઉંમર થઇ ક્યાં સુધી વાળ સંવાર્યા કરશો? રવીન્દ્રનાથે કહ્યું, મને અસ્તવ્યસ્ત વાળમાં જોઇને કોઈને ઘૃણા થાય એ પણ હિંસા કહેવાય. ગાંધીજીની સમજમાં કદાચ નહિ ઉતર્યું હોય પણ આ થયો અહિંસાનો સુક્ષ્મ પ્રકાર. કોઈને મારવાથી જ હિંસા થોડી થાય છે?કોઈનો જીવ દુભાય એવું નાનું કૃત્ય પણ હિંસા કહેવાય. કોઈની મજાક કરીએ અને એનો આત્મા દુભાય તો પણ હિંસા કહેવાય માટે જે પોતાની જાત ઉપર હસી શકતો હોય તેની જ મજાક કરવી.
અહિંસાનો કોન્સેપ્ટ સમજવો અઘરો છે. દેખીતા અહીન્સકો જાણે અજાણે ઘણી બધી હિંસામાં ભાગ લેતા હોય છે. શેમ્પુ લગભગ બધાજ વાપરે છે. શેમ્પુ તમારી આંખો માટે જલદ તો નથી ને?એના જવાબ માટે લેબોમાં સસલાની આંખોમાં શેમ્પુ નાખીને પ્રયોગો કરી ચકાસણી કરવામાં આવે છે. શેમ્પુ વાપરનારા બધાજ આ હિંસામાં ભાગીદાર છે. કતલખાનામાં હિંસા થાય છે, એમાંથી નીકળતી બાય પ્રોડક્ટ બધાજ વાપરે છે. કેલ્શિયમ મેળવવાનો સહેલો ને સસ્તો ઉપાય પ્રાણીઓના હાડકા છે. ખાંડ સફેદ કરવા કેલ્શિયમ વપરાય છે. ચામડું પટ્ટા, પર્સ, જેકેટ્સ ને ઘણી બધી વસ્તુઓમાં વપરાય છે. કુદરતી રીતે મરેલા પ્રાણીઓનું ચામડું આટલી બધી ચામડાની પ્રોડક્ટ્સમાં પુરતું ના થાય. કતલખાના ચાલુ રાખવામાં બધાજ ભાગીદાર છે. અને બધાજ કતલ ખાના બધ કરાવવામાં પડ્યા છે. એક દવાની નાની ટેબ્લેટ ખાસો તો પણ હિંસા થશે. દવાના ટેસ્ટીંગ માટે પહેલા ઉંદરો વપરાય છે, પછી બીજા પ્રાણીઓ.
વર્ધમાનને સન્યાસ લેવા માટે એક ય બીજા બહાને ના પાડવામાં આવતી હતી. તો એ ક્યારેય વિરોધ કરતા નહોતા. ને ઘરના લોકોની વાત માની રોકાઈ જતા. ઘરમાંથી કોઈનો પણ જરા જેટલો જીવ દુભાય એ એમને મંજુર નહોતું. વર્ષો વીતી ગયા. અચાનક ઘરના સભ્યોને ખ્યાલ આવ્યો કે વર્ધમાન ભલે ઘરમાં રહે એમની હાજરી જરાય અનુભવમાં આવતી નથી. જયારે વર્ધમાન ઘરમાં છે એવું લાગતુ જ નથી તો હવે એમને રોકવાનો કોઈ અર્થ નથી. વર્ધમાન વીરોના વીર મહાવીર હતા. હિંસા કરવા માટે તાકાત ને શક્તિ જોઈએ, એમ અહિંસા કરવા માટે અતિ તાકાત ને મહાશક્તિ જોઈએ.
![de002b5788162f54[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/de002b5788162f541.jpg?w=474)
![8e93cc6a8930a1ec[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/8e93cc6a8930a1ec1.jpg?w=474)
![45ba4316f1d1b826[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/45ba4316f1d1b8261.jpg?w=474)