![images[2]](https://raolji.com/wp-content/uploads/2010/02/images2.jpg?w=474)
*ત્યાર પછી નિર્માતાઓ એ એમને સાજા કરવા રામ ઔર શ્યામ બનાવ્યું.પાછું કોઈ દારૂડિયા ને એકદમ દારૂ છોડાવી દઈએ તો મુશ્કેલી થાય,એમ કોઈ નશાકારક દવા લેવા વાળાને એકદમ વ્યસન ના છોડાવાય,એ દવા નું પ્રમાણ થોડું થોડું ઘટાડવાનું.એમ રામ ઔર શ્યામ માં બે જાત ની ભૂમિકા રાખી.દિલીપસાબ શ્યામ તરીકે હળવી મજાકિયા ભૂમિકા ભજવે ને રામ તરીકે પાછો જુનો કરુણરસ ખોરાક લે.ત્યાર પછી ગોપી વિગેરે ચિત્રપટ આવ્યા.પછી કોઈ જાસુસે માહિતી આપી કે આ દિલીપસાબ પેલા વિનોદખન્ના ના વાદે ને સાથે એક વાર ઓશોના આશ્રમ પુના પહોચી ગયેલા.અને નાટકીયા અંદાઝ માં પૂછી બેઠેલા કે મેરે લિયે કોઈ આજ્ઞા હૈ,કોઈ સુચન જો મેરે જીવન કો આગે લે જાએ?ત્યારે બહુ મોટા ખેલાડી અને અભિનયના મહારાજા એવા ઓશોએ સલાહ આપેલી કે “અભિનય મેં જીવન ડાલ દો,ઔર જીવન મેં અભિનય”.ઓશો ગમે તેવા મહાન માણસ કે અવતાર ની પણ ખેંચ લેવા ના નિષ્ણાત હતા.ભલભલા ના પતંગ કાપી નાખતા.અને એવી ગુપ્ત કાચ પાએલી(સુતેલી) દોરી વાપરે કે સામેવાળાની કપાઈ જાય.દિલીપસાબ ને ખબર પણ ના પડી.છેવટે બહુ ખેંચી ખેંચી ને થાકી ગયા તો એમનોજ પતંગ કપાઈ ગયો.પણ જબરો ભડ માણસ.આખી દુનિયા ના મહારથીઓ ને પુના ભેગા કરી દીધેલા.૧૦૦ રોલ્સ રોયસ ચાર ચક્રી વાહનો ભેંગા કરેલા.અને મોંઘીદાટ કાંડા ઘડિયાળો એમનો શોખ હતો.મોરારજીભાઈ એકવાર એમને કહે યોગ શીખવાડો,તો ઓશો કહે પહેલા રાજકારણ છોડી દો.ત્યાર થી મોરારજીભાઈ ને એમની દુશ્મની ચાલુ થઇ.જોકે એમની વાત સાચી હતી.યોગ અને રાજકારણ ને સાથે મેળ કઈ રીતે પડે?પણ ઓશો જબરા ભારાડી,નફફટ પણ એટલાજ.કહે હું તો આ પૃથ્વી નામના ગ્રહ પર મુલાકાતે આવેલો.એમના પાળિયા ઉપર એવું લખેલું પણ છે,જન્મ તારીખ અને પતંગ કપાઈ ગયા તારીખ(મૃત્યુતીથી) વચ્ચે પૃથ્વી નામના ગ્રહ ની મુલાકાતે આવેલા.
*મારે પણ દીલીપસાહેબ જેવું થવા માંડેલું.ઉગ્ર પ્રકાર ના લેખો લખી ને માનસિક અસર થવા માંડેલી.નેતાઓ ને બનાવટી સાધુઓ ઉપર ના શાબ્દીક પ્રહારોવાળા લેખો લખીને આ મારી કુરુક્ષેત્ર નામની રોજનીશી(ડાયરી)માં મુકીને હું પણ ક્રોધાન્વીત રહેવા લાગ્યો.વાતે વાતે ગરમ થઇ જવા લાગ્યો.એકવાર મારા ધર્મપત્ની સવાર સવાર માં વાયુ સગડી પર ચા મૂકી મને ઉભરાઈ ના જાય જો જો જરા એવી આજ્ઞા કરી ને શૌચક્રિયા કક્ષ માં ગયા.અને હું મારી આ રોજનીશી ખોલી ને મિત્રોના અભિપ્રાય વાંચવામાં ને ઉત્તરો આપવામાં મશગુલ ચા ઉભરાઈ ગઈ.પત્ની બહાર આવ્યા ને રસોઈઘર માં જઈને ઉગ્ર થઇ ગયા ને કહે આ શું કર્યું?હું તો મારી રોજનીશીમાં(બ્લોગ) મગ્ન.એકદમ ઉગ્રાતીઉગ્ર બની ગયો ને બરાડી ઉઠ્યો એમ સીતાજીને કાઢીને ના મુકાય.મારા પત્ની મારો જન્મજાત ઉગ્ર સ્વભાવ જાણે.મને કહે અહી ચા ઉભરાઈ ગઈ છે એમાં સીતાજી ક્યાંથી વચ્ચે આવ્યા?મેં કહ્યું વાલ્મીકીએ લોકસભામાં આ પ્રશ્ન કેમ ના મુક્યો?મને ભાન જ રહ્યું કે અહી કલિયુગ માં છું.ત્રેતાયુગ માં નથી.કલીયુગ ને ત્રેતાયુગ બંને ભેગા થઇ ગયા.મારા શ્રીમતી હસવા લાગ્યા.કહે હવે રોજનીશી જગત માંથી બહાર આવો.ફરી ચા મુકવી પડશે.આવું વારે વારે બનવા લાગ્યું.મેં જગત જોડાણ જાળ(ઈન્ટરનેટ) નું જે વેપારગૃહ(કંપની)હતું તે બદલેલું.એમાં પ્રશ્ન ઉભો થયેલો.મારા માહિતી ભંડાર યંત્ર(કોમ્પ્યુટર)સાથે બરોબર જોડાણ થતું ના હતું.બેત્રણ વાર દુરવાર્તા યંત્ર(ફોન)પરથી પ્રયત્ન કર્યો પણ જરૂરી પ્રત્યુત્તર ના મળવાથી અહી પણ બુમો પાડવા લાગ્યો.પેલો ગભરાઈ ગયો ને બીજા દિવસે યાંત્રિક મુશ્કેલી ઠીક કરનાર માણસ આવ્યો.પાછું તારવિહીન(વાયરલેસ) જોડાણ થતું ના હતું.પણ સારા નસીબે મારા સુપુત્રે દુરવાર્તા યંત્ર થી કામ પતાવી દીધું.
*મારા નાના સુપુત્ર પાછા મનોવિજ્ઞાન ભણે છે.એટલે અમારે બહાર જવું ના પડ્યું.ઘર માંજ મફત માં નિદાન સાથે સલાહ મળી ગઈ.મારા દીકરા હરપાલસિંહ કહે હવે બાપુ આપ આવા ક્રોધ ભરેલા લેખો ના લખશો.એના બદલે હળવા હાસ્યરસ થી ભરેલા લેખો લખો,ને રોજનીશીમાં મુકો.આમેય લોકો દુખ દર્દ થી પીડાતા હોય જ છે.એમાં આપ વધારો કરો છો.જૂની વાતો યાદ કરીને પોતે દુખી થાવ છો ને વાંચનાર ને પણ દુખી કરો છો.મને કહે સીતાજી ની પણ ભૂલ તો ખરીને.રામ ને એવું ના કહી દેવાય કે બોલ્યાએ બોલ્યા,વન માં જવું હોય તો તમે જાવ.કાંતો મહેલ માં ને મિલકત માં અડધો ભાગ આપી દો.કચેરીમાં જઈને છુટાછેડા ને ભરણપોષણ નો દાવો કરી અમેરિકન નારી ની જેમ પગડંડી(ફૂટપાથ)પર લાવી દઈશ.ઓલા ધોબી ને જેલમાં પુરાવી દઈશ ને કચેરીમાં બદનક્ષી નો દાવો ઠોકી દઈશ.મને ખાનગીમાં કહે જરા મારા માતુશ્રી ને લડી જુવો તો લીલું પાનું (ગ્રીનકાર્ડ)પડાવી લેશે ને ભારત ભેગા કરી દેશે.
*સમજ્યા હવે? મેં કેમ હાસ્યરસ ભરેલા લેખ લખવાનું શરુ કર્યું છે?આ તો અંદર ની વાત છે કોઈને કહેતા નહિ.મારા મોટા અને નાના બંને દીકરા મને પપ્પા કહીને બોલાવે પણ વચલા દીકરા યુવરાજસિંહ ગુજરાતી બચાવો આંદોલન શરુ પણ થયું ના હતું ત્યાર થી બાપુ કહીને જ બોલાવે છે.મારા આત્મા ને પણ એવું સાંભળી આનંદ સાથે રાહત થાય છે.એમનો સાદ(કોલ) આવ્યો દુરવાત યંત્ર પર.મને કહે બાપુ તમારા માટે કંઠ લંગોટ લીધા છે.હું તો ચમકી ગયો.અલ્યા લંગોટ તો નીચે પહેરાય.તો હસવા લાગ્યો કહે કેવા ફસાયા!!તમે તો નિસરણી આપી છે.એને લાગ્યું કે બાપુ ચકરાઇ જશે એટલે કહે ટાઈ લીધી છે.
નોધ-:-દિલીપસાબ ની વાતો થોડી ઉપજાવી કાઢેલી છે.પણ એમણે મનોવૈજ્ઞાનિક ની સલાહ થી હળવી ભૂમિકાઓ કરવા માંડેલી એવું ક્યાંક વાચેલું.ઓશો કદી દિલીપસાબ ને મળ્યા હોય તેવું જાણ્યું નથી.એ ઉપદેશ વિનોદખન્ના ને મળેલો.મોરારજી વાળી વાત સાચી છે.અને ઓશો ની સમાધિ ઉપર પૃથ્વી ગ્રહ ની મુલાકાતે આવેલા તેવું લખેલું છે,આ વાત સાચી છે.