“જુનું એટલું સોનું, ખરેખર? આધુનિક જીવન અને શિક્ષણ પધ્ધતિના સંદર્ભમાં.”

           *આપણે જૂની વસ્તુ થી ટેવાઈ અને પરિચિત થઇ ગયા હોઈએ છીએ. કોઈ પણ નવી વસ્તુ, પધ્ધતિ કે ચાલ શરુ થાય એટલે એના વિરુદ્ધ હોબાળો શરુ થઇ જાય છે. જુનું એટલું સોનું અને નવું નવ દહાડા એવી કહેવતો ઉચ્ચારનારના મનમાં નવી વસ્તુ પ્રત્યેનો એક ફોબિયા, ભય હોય છે. દરેકના મનમાં હોય છે પણ સાહસિક લોકો પ્રયોગો કરવા માટે તૈયાર હોય છે. દરેક વસ્તુના ફાયદા ને ગેરફાયદા હોય છે. ગેરફાયદા દુર કરીને સુધારા કરી એજ નવી વસ્તુનો વિકાસ કરી શકાય. આવી રીતેજ સંસાર ચાલ્યા કરતો હોય છે. દા:ત.કોમ્પ્યુટરમાં રોજ અપડેટ થતું હોય છે. વિન્ડોઝ એક્સ પી માંથી, સુધારા કરી વિસ્ટા આવ્યું. એમાં પણ સુધારા કરતા નવા વર્જન આવ્યા. અને હવે વિન્ડોઝ સેવન આવી ગયું. આ બધા જુનું એટલું સોનું એમાં માનતા નથી, એટલે તમને એટલી સગવડો મળે છે. જીવન પધ્ધતિને શિક્ષણ પદ્ધતિઓમાં કાળે કાળે નવા સુધારા થતા જ આવ્યા છે. અને એમજ સમાજની પ્રગતિ થાય છે. જુનું એટલું સોનુંમાં માનનારા સમાજ ને ઠપ્પ કરી દેનારા છે. જુનામાં જૂની ચીન અને ભારતની સંસ્કૃતિઓના પ્રાચીન સાહિત્યનો  અભ્યાસ કરો એ લોકો પણ એમના વીતી ગયેલા કાળ કે જમાનાને જ સારો ગણતાં. એમના ચાલુ  કાળને વગોવતા જ જણાય છે. આવા લોકોએ જ સતયુગ પહેલા થઇ ગયો છે એવી ખોટી કલ્પનાઓ કરેલી છે. ગાંધીજીને પણ રામ રાજ્ય ગમતું હતું. રામના રાજ્યમાં એક શુદ્ર એ ભણવાની(તપ) હિંમત કરેલી, અને રામે એને આવી હિંમત કરવા બદલ બાણ મારી હણી નાખેલો. ૫૦૦૦ વર્ષ થી વધારે લાંબા કાળમાં કોઈ શુદ્રે ફરી આવી હિંમત ના કરી. આટલા લાંબા કાળ પછી પ્રથમ વાર શુદ્રમાં એક બ્રાહ્મણ પાક્યો, ડો બાબાસાહેબ આંબેડકર. હવે રામાયણ કાળ કે રામરાજ્યને પાછું લાવવાની વાતો કરનારા મહામુરખો છે.
        *સર્વાઇવલના નિયમ પ્રમાણે જે સારું ને ફીટ હશે એનો નાશ થવાનો નથી.  આયુર્વેદમાં જે સારું છે તે ટક્યું જ છે ભલે ૪૫૦૦ વરસ થયા. એટલોજ જુનો યોગા કામનો છે એટલેજ ટક્યો છે. નહીતો ક્યારનોય ભુંસાઈ ગયો હોત. સુશ્રુત પ્લાસ્ટિક સર્જન પણ હતા, યુધ્ધમાં કપાયેલા નાક ને કપાળની ચામડી લગાડી ઠીક કરતા હતા. પણ જુનું એટલું સોનુંમાં માનનારાઓએ સુશ્રુતની વિદ્યા આગળ ના વધારી.
              એક બ્લોગમાં વાચ્યું કે ગોખણપટ્ટી અંગ્રેજોની દેન છે.અંગ્રેજો  અને ધોળી ચામડી પ્રત્યે અહોભાવની વાતો લખી છે. પણ મેં તો દરેક ભારતીયને અંગ્રેજો આપણને લુંટી ગયા કહી હમેશા ગાળ દેતાજ જોયા છે. ગોખણપટ્ટી અહી અમેરિકાના કલ્ચરમાં ક્યાય જોઈ નથી. ગોખણપટ્ટી એ ભારતની શોધ છે, નહી કે બીજા કોઈ પણ દેશની. કોઈ પણ એકની એક વાત કે વસ્તુ  સતત રટ્યા કરવાથી એ તમારા સબ કોન્શીયાશ માઈન્ડ(અચેતન મન) માં સ્ટોર થઇ જાય ,ભલે એનો કશો પણ અર્થ ખબર ના હોય. મને પોતાને નાનપણમાં કોઈ પણ અર્થની ખબર વગર ગીતાજીના પ્રથમ બે અધ્યાય મોઢે હતા. આ બ્રેઈનની કારીગરીનો ઉપયોગ કરી પ્રાચીન ભારતના પંડિતોએ તમામ શાસ્ત્રોને ગ્રંથો મોઢે મતલબ  કંઠસ્થ કરી સાચવેલા. કાગળની શોધ ચીનાઓએ કરી છે. ઝાડના પાન પર લખવાનું પણ બહુ પાછળ થી આવ્યું. એટલે ગોખણપટ્ટી માટે અંગ્રેજોને ગાળ દેવી ખરેખર ખોટું છે. ઉલટાનું અંગ્રેજી પધ્ધતિમાં ગોખ્યા વગર સમજીને યાદ રાખવાનું શીખવાય છે. એમ કહોકે અંગ્રેજી પધ્ધતિ આવ્યા પછી ગોખણપટ્ટી બંધ થઇ છે.
       *એકાદ વરસ પહેલા ગુજરાત ભાષા પરિષદે ગુજરાતી બચાવો અભિયાન શરુ કરેલું  એવું વાંચ્યું, એમાં સુરેશ દલાલ, ગુણવંત શાહ, રઘુવીર ચૌધરી જેવા સાહિત્યકારો  ભાષણો આપવાના હતા. કઈ જાતની ગુજરાતી ભાષા બચાવવાની છે? અને ગુજરાતમાં જ ગુજરાતી બચાવવાની? હસવા જેવી વાત છે. ગુજરાતમાં રહેતા કયા અને કેટલા ગુજરાતીને ગુજરાતી નથી આવડતી? ગુજરાતમાં જ દરેક જીલ્લામાં અલગ અલગ ગુજરાતી બોલાય છે. શુદ્ધ ગુજરાતી કોણ બોલે છે? ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણનારા કયા વિદ્યાર્થીને ગુજરાતી બોલતા નથી આવડતું? લખવામાં આવ્યું છે કે ગુજરાતીને તળિયા સુધી પહોચાડવી પડશે. કયા તળિયા સુધી? તળિયામાં તો ગુજરાતી વસેલી જ છે. કયા ગામડાના લોકો ગુજરાતી નથી બોલતા?કયા ગામડાના લોકો ફક્ત અંગ્રેજી જ બોલે છે? તળિયું કયું સમજ ના પડી. પાંચ કરોડ ગુજરાતીઓમાંથી કેટલા અંગ્રેજી માધ્યમમાં ભણે છે? સૌથી વધારે લોકો ગામડામાં રહે છે. કેટલા ગામડામાં અંગ્રેજી સ્કૂલો  છે? બે બિનગુજરાતી પર પ્રાંતના લોકો એકબીજાને મળે ત્યારે એમની માતૃભાષામાં વાત કરે છે. સાચી વાત છે. પણ આજ પરપ્રાન્તીયોનું અંગ્રેજી ગુજરાતીઓ કરતા પણ સારું હોય છે એ વાત કેમ  ભુલાઈ ગઈ  છે?  અંગ્રેજી કડકડાટ બોલતા તમીલીઓ, કેરાલીયનો, કન્ન્ડો શું એમની માતૃભાષા ભૂલી ગયા છે?એટલા માટે પૂછું છું કે ગુજરાતીની સાથે સાથે સારું અંગ્રેજી કેમ ના શીખી શકાય?  શું બે ભાષાઓ સાથે શીખવામાં કોઈ વાંધો આવે છે?  અંગ્રેજી બોલે એવા ગુજરાતી કઈ રીતે ગુજરાતી ભૂલી જાય? તો કઈ ગુજરાતી બચાવવાની? અમારા ગુજરાતી સગા આખી જીંદગી બેંગ્લોર રહ્યા. એમના છોકરા બેંગ્લોરમાં જ જન્મેલા ને ત્યાની સ્કુલોમાં જ ભણેલા. આ છોકરા હિન્દી,અંગ્રેજી,કન્નડ અને ગુજરાતી કડકડાટ બોલે છે. કારણ ઘરમાં ગુજરાતી બોલતા હોવાથી ગુજરાતી પણ એટલુજ સરસ બોલે છે. એક ભાષા શીખવાથી બીજી ભાષા શીખવામાં ક્યાં અડચણ આવે તે સમજાતું નથી.
        *માતૃભાષા અમેરિકામાં આવ્યા પછી પણ નથી ભુલતુ કોઈ. જીવતી રહે છે, માટે અહી સરકારી કામોમાં ફોન પર અંગ્રેજી બોલતા ના આવડે તો ન્યુ જર્સીમાંતો ઇન્ટરપ્રિટર મળે છે. એક ભાઈની વાત સાચી છે કે ગુજરાતી બચાવો અભિયાન કરતા અંગ્રેજી ભગાવો અભિયાન વધારે લાગે છે. પણ આવું કરી ગુજરાતને પછાત રાખવામાં આ લોકો ભૂંડી ભૂમિકા ભજવશે. મેકોલે એ શિક્ષણ પધ્ધતિ શરુ કરી એ પહેલા મહાન ગુરુકુળોમાં કેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા? બ્રાહ્મણ વર્ગમાં પણ ઉચ્ચ ક્રીમી લેયર કરતા કોને સંસ્કૃત આવડતું હતું? નાનામાં નાનો ને ગરીબ વર્ગ  પણ ભણતો થયો કોના પ્રતાપે? આધુનિક પધ્ધતિના પ્રતાપે કે મહાન ગુરુકુળ પધ્ધતીના પ્રતાપે? ગુરુકુળોમાં શું ભણાવતા હતા? વિજ્ઞાન, ટેકનોલોજી? એન્જીનીયરીંગ? હું કોઈ મેકોલેની વકીલાત કરું છું તેવું સમજાતા નહિ, કારણ મેકોલેને અંગ્રેજી હકુમત માટે કારકુન જોઈતા હતા. પણ મેકોલે જેવીતેવી પણ શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી તે પહેલા ભણવા કોણ જતું હતું? પ્રાચીન ગુરુકુળોમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય કોણ ભણવા જતું? એમાં પણ રાજઘરાના સિવાયના સામાન્ય ક્ષત્રિયો  ભણવા જઈ શકતા ખરા?
         *આધુનિક જીવન પધ્ધતિ અપનાવતા લોકો કેટલા? કીટી પાર્ટી , જીમ અને ક્લબોમાં કેટલી માતાઓ જઈને એમના નાના બાળકોનું ધ્યાન નહિ રાખતી હોય? આવું ક્રીમ લેયર ગુજરાતમાં કેટલું છે? કોઈ માધ્યમ વર્ગના માણસને આવું પોસાય ખરું?  આયાઓ કેટલા માણસો રાખી શકતા હશે? એક કામવાળી બાઈ લોકોને પોસાતી નથી. જે આધુનિક જીવન પધ્ધતિથી થતા અતિશય નુકશાન વર્ણવામાં આવે છે એવી આધુનિક જીવન પધ્ધતિ અતિ શ્રીમંત વર્ગ સિવાય કોને પોસાય છે. ધીરુભાઈ અંબાણી તો અતિશય શ્રીમંત હતા. એમના છોકરાઓને એક અઠવાડિયામાં બહારનો નાસ્તો અને સોફ્ટ ડ્રીંક એક વાર જ મળતું. જો  બે નાસ્તા કરવા હોય તો પીણું જતું કરવું પડતું. અને બે પીણાં પીવા હોય તો નાસ્તો જતો કરવો પડતો. આ બધું વીકમાં એક જ વાર રોજ નહિ. આવું કરતા દરેક માબાપને કોણ રોકે છે? ત્યારે આ બંને ભાઈઓ એમના સામ્રાજ્યને ચલાવે નહિ બલકે વધારી રહ્યા છે.
        *એક રીયલ અનુભવ. વડોદરામાં પ્રતાપનગર રોડ પર ગીતામંદિરની સામે ડો રાજેશ લીંબડ(જનરલ સર્જન)ની હોસ્પિટલ છે. મારા વાઈફને જોન્ડીસ થયેલો, ત્યાં દાખલ કરેલા. બાજુમાં એક વૃદ્ધ બીમાર હતા તેમનો પલંગ હતો. ગરીબ વર્ગના હતા. એક એમનો દીકરો એમની પાસે રહેતો. એક યુવાન સ્ત્રી પણ સેવા કરતી. એટલી બધી લાગણીથી આ લોકો દેખભાળ કરતા કે નવાઈ લાગે. હું તો પેલી સ્ત્રીને એમની દીકરી સમજેલો. પણ પછી ખબર પડી એ એમના દીકરાની પત્ની હતી. બંને પતિ પત્ની ખુબ કાળજી રાખતા. વૃદ્ધ ગરમ મિજાજના હતા પણ બંનેના ચહેરા પર નારાજગી જરાય ના દેખાય. વાતવાતમાં પેલી સ્ત્રીએ કહ્યું કે મારા સાસુની પણ તબિયત સારી રહેતી નથી એટલે અમે દવાખાને આવવાની ના પડી છે, બાપાને તો અમે જાળવી લઈશું. ડોકટર પોતે પણ આ લોકોને અહોભાવ થી જોઈ રહેતા. મને ડોકટરે એમની કેબીનમાં મને કહેલું કે ભુપેન્દ્રસિંહ આ ગરીબ લોકો પાસે થી આપણે ઘણું શીખવાનું છે. અતિ ઉચ્ચ ધનિક વર્ગની રહેણી કરણી અને આધુનિક જીવન પદ્ધતિને આખા સમાજનો માપદંડ શું કામ બનાવો છો?  એના ગેરફાયદાથી આખા સમાજનું સત્યાનાશ વળી જશે એવું શું કામ માનવું?
       *સંયુક્ત કુટુંબો તુટતા જાય છે, એમાં સંજોગો પણ એટલાજ દોષી છે. ફાયદા ગેરફાયદા બંને બાજુ છે. જમાના સાથે કદમના મીલાવોને સંયુક્ત કુટુંબ સાચવવા ક્યાં સુધી તમે બેસી રહી શકો. ભણવાનું દુર હોય,નોકરી બીજે ઠેકાણે મળી  હોય, પિતા ક્યાંક બીજે કે ગામમાં નોકરી ધંધો કરતા હોય, બહેન પરણાવી દીધી હોય, ભાઈ ને પછી બીજે દુર નોકરી મળી હોય તો શું કરવાનું?ઓટોમેટીક સંયુક્ત કુટુંબ તૂટવાનું છે. સંયુક્ત કુટુંબની પ્રથાને સાચવવાની વાતો કરનારા પોતે કેટલા સંયુક્ત કુટુંબમાં રહે છે? હાથ ઊંચા કરોતો? હું જરા ગણી લઉં. મારા ત્રણે ભાઈઓ માતાપિતાને ખુબ પ્રેમ કરતા હોવા છતાં નોકરી અર્થે દુર દુર રહેતા હતા. હું પણ બહુ વરસ સાથે ના રહી શક્યો. પણ રહ્યો ત્યાં સુધી રોજ મારા વકીલ પિતાશ્રી મને કહેતા બેટા તારું ભવિષ્ય શું કામ બગાડે છે?  સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા હોવા છતાં સંજોગો મજબુર કરી નાખતા હોય છે વિભક્ત કરતા. એકજ ગામમાં એક ખેતરમાં આખું કુટુંબ કામ કરે તોજ સંયુક્ત કુટુંબ પ્રથા સચવાય, બાકી નહિ.
        *કોઈ વસ્તુમાં પોતાનામાં ખરાબી નથી. ખરાબી છે તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એમાં. અણુ વિજ્ઞાનથી વીજળી પેદા કરી દુનિયાને ઉજાળી શકાય છે, અને અણુબોમ્બ બનાવી દુનિયાનો નાશ પણ કરી શકાય છે. એમાં અણુવિજ્ઞાન ખરાબ છે એવું કહેનારા ખોટા છે. ઇન્ટરનેટથી દુનિયા ભરનું જ્ઞાન એક રૂમમાં બેસી ને મેળવી શકાય છે, અને રૂમ બંધ કરી પોર્નો પણ જોઈ શકાય છે. એમાં ઇન્ટરનેટનો શું વાંક. આધુનિક જીવન પધ્ધતિ અપનાવી વિકાસ પણ કરી શકાય ને પોતાનો નાશ પણ કરી શકાય. માતૃભાષા સાથે સારું અંગ્રેજી શીખી સારી કોલેજમાં એડમીશન મેળવી શકાય, સારો ઉચ્ચ હોદ્દો કલેકટર જેવો મેળવી શકાય, માતૃભાષા સાથે નાતો પણ જોડી રાખી શકાય, અને બંનેમાં ઠોઠ નીશાળીઓ રહી બધું ગુમાવી શકાય.
      *જેને ભણવું જ છે એને કોઈ બંધન નડતા નથી. ઓલ્ડ ઈઝ ગોલ્ડ કમજોર લોકો કહે છે. નવી વસ્તુના ખરાબ પરિણામોમાંથી પસાર થઇ એમાંથી બોધ લઇ સુધારા કરવાવાળા થી જ  જગતનો વિકાસ થાય છે. જે ઓલ્ડ ઈઝ ગોલ્ડ છે એ કદી મટવાનું  નથી, અને જે ઓલ્ડ ઈઝ ગોલ્ડ નથી એ કદી ટકવાનું નથી.

             *પ્રવિણા બેનનો બ્લોગ વાંચ્યો.  શૈશવ  નામની ભાવનગરની સંસ્થાની મુલાકાતના એમના અનુભવો એમની સક્ષમ કલમ વડે લખાયેલા વાંચીને થોડું અહી ઉમેરવાનું મન થયું.  લાખો બાળકોને જ્યાં ભણવાનું નસીબ નથી, ત્યાં અતિ ઉચ્ચ ધનિકવર્ગની અત્યંત આધુનિક જીવન પધ્ધતિથી આખાં સમાજનું સત્યાનાશ વળી જવાની વાતો કરવામાં આવે છે. લાખો બાળકોને જ્યાં ભણવાનું નસીબ નથી ત્યાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો થકી ગુજરાતી ભાષાનો નાશ થઇ જશે, માટે તેને બચાવવી જોઈએ તેવી પરિષદો ભરવામાં આવે છે સાક્ષરોની હાજરીમાં, ને તળિયા સુધી ગુજરાતી પહોચાડવી જોઈએ એવી વાતો કરવામાં આવે છે. જ્યાં સ્કુલમાં જવાના  ફાંફા  છે ત્યાં અંગ્રેજી કઈ રીતે ઘુસી જવાની છે? અને કઈ ગુજરાતીનો નાશ થઇ જવાનો છે. નાના બાળકો ભણવાને બદલે કામ પર જાય છે અને મહેનતાણું મળે છે ફક્ત દસ રૂપિયા.  આવા લોકોથી જ ગુજરાતી બચી જવાની છે કોઈ એનું કશું નહિ બગાડી શકે. આધુનિક જીવન પધ્ધતિ આ લોકોનું કશું બગાડી શકવાની નથી…….