“રામ તેરી ગંગા મૈલી હો ગઈ”…..પાપીઓ કે પાપ ધોતે ધોતે…….

Ganga Avtaran

 

                            * ઈ.સ.૧૮૬૪ની આસપાસ,આજથી આશરે ૧૪૬ વર્ષ પહેલા અદ્વૈતવાદી યોગીરાજ સ્વામી તોતાપુરીના પવિત્ર મુખે થી શબ્દો નીકળેલા રામ તેરી ગંગા તો બહોત મૈલી હો ગઈ હૈ. હરદ્વારથી કલકત્તા આવતા સુધીમાં ગંગા કેટલી બધી મેલી થઇ ગઈ હતી એનો પુરાવો ૧૪૬ વર્ષ પહેલા બોલાએલા આ વાક્યમાં હતો. આ તોતાપૂરી સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ(સ્વામી વિવેકાનંદ ના ગુરુ)ના અદ્વૈત ની સાધના દરમ્યાન ગુરુ હતા. આજ ગુરુના પ્રતાપે ને એમની દોરવણી હેઠળ શ્રી રામકૃષ્ણ પરમહંસ ને  નિર્વિકલ્પ સમાધિ ની અનુભૂતિ થએલી.ત્યાં સુધી એઓશ્રી અધુરપ અનુભવતા હતા.આવા પ્રતાપી ગુરુ ના મુખે થી નીકળેલા શબ્દો ને ટાઈટલ બનાવી મહાન શો મેન રાજકપૂરે એક હિન્દી મુવી બનાવેલું એ કેટલું બધું સફળ થએલું,એ સૌ કોઈ જાણે છે.આપણે એ જુના મુવી વિષે નો લેખ નથી લખવો, એ કામ સન્માનીય રાજુલ બેન માટે રાખીએ.એઓશ્રી જ પુરતો ન્યાય આપી શકે.
                      *કોઈ હિન્દુસ્તાની લેખક શ્રી અંગ્રેજીમાં વાર્તાઓ લખે છે,અને ગંગા નદીમાં લોકો કુદરતી હાજતે જાય છે,એવું લખીને ભારત ની સંસ્કૃતિ ની વગોવણી કરે છે.આનાથી ઘણા બધા નો આત્મા દુભાય છે.મારો પણ દુભાય છે.સૌ કોઈ ભારતીય નો પણ દુભાશે જ.પરદેશ ના ઘણા બધા જાણીતા વ્યક્તિઓ ગંગા માટે માન,ભક્તિ,શ્રદ્ધા,અને પ્રેમ ધરાવે છે.અને એની શુદ્ધતા માટે આપણાં ભારતીયો કરતા વધારે ચિંતિત છે.છતાં કોઈ કોઈ પરદેશી અને દેશી સુદ્ધાં ગંગા નદી ની ગંદકી ની વાતો કરી ને હંસે છે,ત્યારે આપણે કૃદ્ધ થઇ જઈએ છીએ,અને એને વખોડવા લાગીએ છીએ.સ્વાભાવિક છે આ બધું.
                     *  પ્રથમ ભૂલ આપણી જ છે.બીજા કોઈ નો દોષ જોવો એના કરતા આપણો દોષ પહેલો જોવો જોઈએ.ગંગા દુષિત થઇ જ ગયી છે,એતો માનવું જ પડે.આપણે ત્યાં સ્વચ્છતા અને પવિત્રતા સાથે જોઈન્ટ નથી કરી,બંનેના માપદંડો જુદા જુદા છે.એનું સર્વ પાપ ગુરુઓને લાગે છે.ગુરુઓએ પવિત્રતાની સાથે સ્વચ્છતા પણ જોડી દેવી જોઈતી હતી.જે વસ્તુ ને તમે પવિત્ર માનતા હોવ એમાં મળ વિસર્જન કઈ રીતે કરી શકો?આ તો પાપ જ કહેવાય.અને આના વિષે આપણો હિન્દુસ્તાની લેખક જ વધારે કહી શકે.કારણ ધોળિયા લેખક ને તો વિચાર જ ના આવે કે લોકો નદી માં હાજતે જતા હશે.દુખ એ વાત નું થાય છે કે પરદેશ માં લોકો આપણી ગંદી આદતો વિષે જાણી જાય છે.અને આબરૂ ના ધજાગરા થાય છે,આત્મા એટલા માટે દુભાય છે કે આપણા મહાનતા ના ખ્યાલો માં કોઈ ઘા કરે છે.મને પણ દુખ થાય છે જયારે કોઈ લેખક અને તે પણ આપણો ગંગા વિષે ખરાબ લખેતો.પણ વધારે ગુસ્સો આપણા ધર્મ ગુરુઓ પર આવેછે કે આ લોકોએ પ્રજા ને એવું કેમ ના શીખવ્યું કે અસ્વચ્છ વસ્તુ કદી પણ પવિત્ર ના હોઈ શકે.કારણ વસ્તુ પવિત્ર છે એવું પણ ધાર્મિક મહા પુરુષો જ ઘુસાડે છે.તો સ્વચ્છતા પણ એમણે જ શીખવાડવી  જોઈએ.ગંગા આજની ગંદી નથી.ગંગા કોઈ કાળે શુદ્ધ નહિ થાય.પ્રજા ના મનમાં,બ્રેન માં,અચેતન માનસમાં,સબ કોન્સીયાશ માઈન્ડ માં ઘુસેલું જ નથી કે સ્વચ્છતા હોય ત્યાજ પવિત્રતા હોય.ગંદા હાથે વહેચેલી કે નીચે પડેલી પ્રસાદી લોકો ખાઈ જાય છે.કારણ પવિત્ર છે.મને ઉબકા આવે છે જોઇને.કોઈને ખોટું ના લાગે એનું ધ્યાન રાખી હું તો ફેકી દઉં છું.સરકાર ગમેતેટલા પ્રયત્નો કરે,ગમે તેટલા આંદોલનો ચલાવે કોઈ ફેર ના પડે.એકજ ઉપાય છે મોર ધેન ૨૫૦૦૦ હજાર સંપ્રદાયો ના ધાર્મિક વડાઓ જાહેર કરે કે સ્વચ્છતા હોય ત્યાજ પવિત્રતા હોય બાકી નાં હોય તો એકજ અઠવાડિયા માં ગંગા શુદ્ધ થઇ જાય.
                  *આના માટે આપણા બ્લોગ જગત ના શ્રી અરવિંદ અડલજા એ પ્રમાણિક પ્રયત્ન કરી જોએલો.શક્ય એટલા ધર્મગુરુઓને એમણે આ બાબત પત્રો લખેલા.પણ એક સ્વામી સચ્ચીદા નંદજી(દંતાલી)સિવાય કોઈએ જવાબ આપવાની તસ્દી લીધી નહતી. 
                  *એકવાર અમે થોડા પડોશીઓ ભેગા થઇ ચાણોદ ગયેલા નર્મદા કિનારે.હવે ઘાટ પર ગયા બધા નહાવા,પુણ્ય કમાવા.મેં જોયું તો બધા એકજ જગ્યાએ નહાતા હતા.એમાં વધારે પવિત્ર થવા ઘણા તો સાબુ લગાવી ને સ્નાન કરતા હતા.થોડે દુર એક નાનું ટોળું ભેંસો નું નદી માં ઉભું ઉભું બંને જાતની શૌચ ક્રિયા ઓ કરી નર્મદાની પવિત્રતા માં વધારો કરતી હતી,અને એ બાજુ થી પાણી નો પ્રવાહ આમારી તરફ આવતો જોઈ મેં તો સ્નાન કરી સ્વર્ગ માં ટીકીટ બુક કરાવવાનું માંડી જ વાળ્યું.બધાને જરા હું સનકી લાગ્યો.કે છેક નદી એ પણ પવિત્ર નદી કિનારે આવીને નહાયા વગર જાય.એવા માં મારા આશ્ચર્ય વચ્ચે મારા પાડોશી બહેને નદી માંથી પાણી હાથ માં લઇ પી લીધું.બધાની વચ્ચે હું ઉબકો પણ ખાઈ ના શક્યો.
               *હોલીવુડ ના મુવી ૩૦૦(સ્પાર્ટા) નો ડેશિંગ અભિનેતા કોઈ કારણસર ગંગા નદી ઉપર આવેલો.લોકોને નહાતા અને પાણી લઇ આચમન કરતા જોઈ ઘીંસ ખાઈ ગયેલો.અહી જયલેનો ના ટોક શો માં આવેલો.ત્યારે એના ગંગા ના અનુભવ ની વાત નીકળી.લોકો એને પણ આગ્રહ કરતા હતા ગંગાનું પાણી પીવા માટે,આચમન કરી સ્વર્ગ માં સીટ બુક કરાવવા.બધા એકજ જગ્યાએ નહાતા હોય ત્યાં થી હું કઈ રીતે પાણી પી શકું?એવા એના શબ્દો હતા,હોસ્ટ અને આ અભિનેતા બંને હસતા હતા.મને ખુદ ને આ જોઈ આ લોકો ઉપર નહિ પણ આપણા ભારતીયો ની મુર્ખામી પર ખુબ ગુસ્સો આવ્યો.
              *આપણે ગંદા હોઈએ અને કોઈ ગંદા કહે તો એમાં ખોટું શું લગાડવાનું?ઉભા થઇ ને નાહીને ચોખ્ખા થતા કોણ રોકે છે?પછી કહીએ કે આતો આપણી મહાન સંસ્કૃતિ ને વગોવે છે,બદબોઈ કરેછે.બધાને આપણી પવિત્રતા નથી દેખાતી ને ખાલી ગંદકી  જ દેખાય છે.આ ક્યાંનો ન્યાય?કોઈ કહેશે લોકોમાં એજ્યુકેશન વધારો,એજ્યુકેશન ના હોય એટલે આવું થાય છે.તો હું જણાવું કે જે બહેને મારી હાજરી માં નર્મદાનું ગંદુ પાણી પી(આચમન) સ્વર્ગ માં ટીકીટ બુક કરાવેલી એ બહેન વડોદરા ની મ.સ.યુની. ના કેમેસ્ટ્રી સાયંસ ગ્રેજ્યુએટ છે.પણ પવિત્રતા નો સવાલ આવે તો ભણતર જાય ભાડ માં.
            *ખાલી ગંગા જ નહિ દરેક નદી પવિત્ર છે.દરેક દેશ ની નદીઓ પવિત્ર જ છે.કારણ નદીઓ કિનારે જ જૂની સંસ્કૃતિઓ વિકસેલી છે.આપણા માટે જેટલી ગંગા પવિત્ર છે એટલી જ પવિત્ર નાઇલ ઈજીપ્ત માટે,એમેઝોન અમેરિકા માટે,હડસન ન્યુયોર્ક ને જર્સી સીટી માટે,સિધું પાકિસ્તાન માટે,ગોદાવરી દક્ષિણ ભારત માટે,ભરૂચ માટે નર્મદા,તાપી સુરત માટે,સાબરમતી અમદાવાદ માટે,મહીસાગર વડોદરા માટે.નાનામાં નાની નદી પણ એને કાંઠે વસેલા ગામ માટે પવિત્ર જ છે.ફક્ત એને ચોખ્ખી,સ્વચ્છ રાખવાની જવાબદારી એને કાંઠે વસેલા ગામ લોકોની પવિત્ર ફરજ છે.            
 
Garbage
Ganga snan
Aarati Gangajini